"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

અનુકૂલન (સમાયોજન)//Adaptation

અનુકૂલન (સમાયોજન)//Adaptation

અનુકૂલન(Adaptation)

 પ્રસ્તાવના :

    શારીરિક-માનસિક શક્તિઓની અનુવંશ નિશ્ચિત મર્યાદાઓ દૈવહુમાં પક્ષી જરૂરિયાતોની અનવતા અને સામાજિક સાંસ્કૃતિ ધોરણોની લક્ષ્મણ રેખાના સંદર્ભમાં અનુકૂલન એ ઘણો જૂનો પ્રશ્ન છે. પરંતુ આજના જમાનામાં અનુકૂલનનો પ્રશ્ન ઘણો જટિલ, ઉગ્ર અને પડકારરૂપ બન્યો છે. 

    આના મુખ્ય બે કારણો છેઃ (1) વિજ્ઞાનની અભિમુખતા (2) ઔદ્યોગિકરણ સર્જીત પરિસ્થિતિ. 

    પ્રાચિન યુગનો માનવી પોતાની જરૂરિયાતની તૃપ્તિમાં નિષ્ફળ જતો ત્યારે પોતાની નિષ્ફળતા માટે પૂર્વકર્મ, પ્રારબ્ધ, પાયોદય, પરમાત્માની ઇચ્છાને જવાબદાર ગણી હતાશામાંથી બચવા પ્રયત્નો કરતો.

પરંતુ આજે !!!

આજનો માનવી નિષ્ફળતાઓ દૂર કરવા કોઈક મનોવૈજ્ઞાનિક ઉપાય અજમાવવો જોઈએ તેવી મનોદશાના ઉંબરે આવીને ઉભો છે.


બીજી બાજુ “લોકશાહી એ જ શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા છે.” એવી માન્યતા અને “ઔદ્યોગિકરણના પરિણામરૂપ ઉદ્ભવેલ સમાજ” આ બન્નેના ઐતિહાસિક સમાગમે આજના માનવીને અભૂતપૂર્વ વિરોધાભાષનો ભોગ બનાવ્યો છે. 

એક બાજુ લોકશાહીની વિચારધારા વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર્યની ભાવના સીંચી તેમનામાં “વ્યક્તિમત્તા” (Individuality) વિકસાવી રહી છે; જયારે સમૂહ સમાજ સતત વ્યક્તિના વ્યક્તિત્વનો લોપ (Impersonication) કરી રહેલ છે. એક વિચારધારા “હું જ સાર્વભૌમ છું.” એવી ભાવના સિંચે છે. બીજી પરિસ્થિતિ “તું બીજું કોઈ નહીં પણ વિશાળચક્રનું અત્યંત સૂક્ષ્મ ઉપચક્ર છે.” “You are nothing but a cogin in the wheel.” એવી વાસ્તવિક અનુભૂતિ કરાવે છે. આવી પરિસ્થિતિમાં સમૂહોનું અન્ય સમૂહો સાથેનું અનુકૂલન (સમાયોજન) સરળ બન્યું છે. પરંતુ વ્યક્તિનું અન્ય વ્યક્તિ સાથે સુમેળ સાધવાનું કાર્ય વિકટ બન્યું છે. આ પરિસ્થિતિના જવાબરૂપે “વ્યક્તિ સમાયોજન મનોવિજ્ઞાન” (Psychology of Personal Adjustment) મનોવિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા તરીકે વિકાસ પામ્યું છે. જે 

(1) અન્ય વ્યક્તિ સાથે આપણે કેવી રીતે વધુમાં વધુ મેળ સાધી શકીએ. 
(2) અતિવિકટ પરિસ્થિતિમાં પણ આપણે કેવી રીતે જરૂરિયાતોને વધુમાં વધુ પ્રમાણમાં સંતોષી શકીએ. 

તેનો વૈજ્ઞાનિક માર્ગ દર્શાવે છે.

ટૂંકમાં... વ્યક્તિસમાયોજન મનોવિજ્ઞાન એટલે વ્યક્તિને તેની જરૂરિયાતો અને પરિસ્થિતિ વચ્ચે વૈયક્તિક ધોરણે સુમેળ સાધવાની બાબતમાં મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપનું વિજ્ઞાન.

અનુકૂલનને સાંપ્રત સમયમાં સમાયોજન કહેવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં અનુકૂલન અને સમાયોજન બને એકબીજાના પર્યાય તરીકે વપરાય છે.

અનુકૂલન સંકલ્પના :

        દરેક સજીવ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ હોય છે. આ પ્રયાસને બીજી રીતે અનુકૂલન સાધવાના પ્રયાસ તરીકે ઓળખી શકાય. સજીવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. માનવે પોતાની આસપાસના પર્યાવરણ ઉપરાંત સમાજ સાથે પણ અનુકૂલન સાધવું આવશ્યક છે. અનુકૂલન સાધી ન શકનાર વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકતો નથી. તેથી અનુકૂલન વિશે વિચાર કરવો આવશ્યક છે. અનુકૂલનની સંકલ્પના કેટલીક વ્યાખ્યાઓની મદદથી સમજીએ.

સામાન્ય રીતે અનુકૂલન એટલે અન્ય વ્યક્તિઓ સાથે પરિસ્થિતિ સાથે સુમેળ સાધવો તે. 

અનુકૂલનનો અર્થ વધુ સ્પષ્ટ કરવા તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ,

“અનુકૂલન એટલે જરૂરિયાત અને પરિસ્થિતિ વચ્ચે અસરકારક રીતે મેળ સાધવાનો પ્રયાસ.”
કોલમેન.

અનુકૂલન નિરંતર ચાલનારી પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યક્તિ પોતાની અને વાતાવરણની વચ્ચે સંતુલિત સંબંધ રાખવા માટે વર્તનમાં પરિવર્તન કરે છે.” - ગેટ્સ અને અન્ય

        વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જયારે પ્રયત્નો કરે છે, પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે જો તેના પ્રયત્નો પૂરતાં નીવડે તો તે જે તે ધ્યેય પ્રાપ્ત કરી જરૂરિયાત પૂર્તિ કરી શકે છે. જો તેના પ્રયત્નો નબળાં સાબિત થાય તો વ્યક્તિ ધ્યેય પ્રાપ્ત કરી શકતી નથી, આવા સમયે તેના અહમની જાળવણી માટે તે અનુકૂલનની પરોક્ષ પદ્ધતિઓ ઉપયોગમાં લે છે. જેને બીજા અર્થમાં બચાવ પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે.

(1) અનુકૂલન એ સતત ચાલતી પ્રક્રિયા છે.

(2) આ પ્રક્રિયા દરમિયાન કે તે દ્વારા વ્યક્તિ પોતાના વર્તનમાં પરિવર્તન આણતી રહે છે. 

(3) વર્તનમાં પરિવર્તન લાવવાનો હેતુ પોતાના “વર્તન”ને વાતાવરણને અનુકૂળ બનાવવાનો હોય છે. 

(4) અનુકૂલનની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે (Transaction) આપ-લેની આંતરક્રિયા થતી રહે છે.

(5) અનુકૂલનનો અર્થ વાતાવરણને તાબે (Surrender) થવાનો નથી.

(6) અનુકૂલનના હેતુથી વ્યક્તિ અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયા (Transaction) આપ-લેના પરિણામે વ્યક્તિ” કે “વાતાવરણ” કે “બને”માં પરિવર્તન આવે છે.

(7) અનુકૂલિત વ્યક્તિમાં જીવનને જોવાનો, જરૂરિયાતો સંતોષવાનો કે જીવનપ્રશ્નો હલ કરવાનો એક વિશિષ્ટ લાક્ષણિક દૃષ્ટિકોણ વિકસે છે.

(8) અનુકૂલન દ્વારા વ્યક્તિએ વાતાવરણ સાથે સુમેળ સાધવાનો છે.

(9) જે રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ એ અધ્યયનની પ્રક્રિયાની નિપજ છે તે રીતે જોતાં અનુકૂલન એ વાસ્તવમાં પુનઃ અધ્યયનની પ્રક્રિયા છે.

(10) અનુકૂલન દ્વારા વ્યક્તિ પોતાના “સ્વ” “self”નું સંરક્ષણ-બચાવ કરે છે. 

(11) અનુકૂલન એટલે વ્યક્તિની પોતાની રીતે વાસ્તવિકતાનો સામનો કરવાની સમર્થતા. 


બચાવ પ્રયુક્તિ (Defence mechanism) અર્થ :

    જયારે વ્યક્તિને ધ્યેયપ્રાપ્તિ નથી થતી ત્યારે તે તંગદિલીનો અનુભવ કરે છે. પરિણામે તેનામાં હતાશા કે વૈફલ્ય પેદા થાય છે. આ પ્રકારની માનસિક તંગદિલીને હળવી કરવા માટે વ્યક્તિ કેટલાંક પરોક્ષ ઉપાયોનો આશરો લે છે, જેને બચાવ પ્રયુક્તિઓ (Defence mechanism) કહેવામાં આવે છે. વ્યક્તિ આ પરિસ્થિતિમાં અજાગૃતપણે પોતાની આબરૂ ન જાય, પોતાનો “સ્વ” (અહમ્) (Ego) ન ઘવાય અને હીણપતનો ભાવ પેદા ન થાય તેમજ પોતાના બચાવ માટે જે માર્ગો કે પ્રયુક્તિઓનો આશરો લે છે તે બધી બચાવ પ્રયુક્તિઓ કહેવાય છે. બચાવ પ્રયુક્તિનો અર્થ સમજવા આપણે વિવિધ મનોવિજ્ઞાનીઓએ આપેલી વ્યાખ્યાઓ જોઈશું.


“Defence mechanism is any enduring structure of the psyche that enaxiey a person to avoid awareness of the unpleasant or the axxiey arousing.

- English & English


In order to escape the effects of frufrations, an individual may use those psychological devices which have been described as defence mechanisms, mental mechanisms and adjustment mechanisms."

- Chauhan


“Adjustment mechanisms are the habits by which people satisfy their motives, reduce their tensions and resolve their conflicts." 

- Shaffer and Shoben

  • જેના દ્વારા લોકો તેમના હેતુઓ સિદ્ધ કરે, તંગદિલી હળવી કરે અને સંઘર્ષ દૂર કરે તેને અનુકૂલન પ્રયુક્તિઓ કહેવામાં આવે છે.

‘Mechanisms are concerned with managing in some way the impulses whose direct and natural expressing give rise to anxiety.”

P.H. Symonds. 

  • જેની સીધી અને સાહજિક (સ્વાભાવિક) અભિવ્યક્તિથી ચિંતા પેદા થાય તેવી લાગણીઓને સંતુલિત કરવાની પ્રક્રિયા બચાવ પ્રયુક્તિ છે.
  • આ પરોક્ષ પ્રયુક્તિઓનો ઉપયોગ ચિંતા કે માનસિક તંગદિલી દૂર કરવામાં થાય છે.
  • સંપૂર્ણ સ્વસ્થ માણસો પણ કેટલીક વાર પરિસ્થિતિ કે સંજોગો સાથે અનુકૂલન સાધવા આવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે.
  • આવી પ્રયુક્તિઓનો વારંવાર ઉપયોગ કરવાથી વ્યક્તિઓ લઘુતાગ્રંથિ, અસલામતીનો ભોગ બને છે. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ પેદા થાય છે,
  • આ પ્રયુક્તિઓ આત્મવંચક હોય છે. વ્યક્તિ કેટલીકવાર આવી પ્રયુક્તિઓનો જાણે અજાણે ઉપયોગ કરે છે.
  • જેનાથી વ્યક્તિ પોતે નીચી ન પડે, તેનો અહમ્ ન ઘવાય તે રીતે માનસિક તંગદિલી કે સંઘર્ષને દૂર કરવાનો અજાગ્રતપણે પ્રયાસ કરે છે.
  • જેનાથી વ્યક્તિની હતાશા કે તંગદિલી દૂર થાય છે.

હતાશા અનુભવતી વ્યક્તિ આ પ્રયુક્તિઓ અજમાવી સાચે જ વાતાવરણ સાથે સુમેળ સ્થાપવાનો જ પ્રયાસ કરે છે. સુમેળ કે અનુકૂલન સાધવાના પ્રયાસ રૂપે ઉપયોગમાં લેવાતી હોઈ એ પ્રયુક્તિઓને અનુકૂલન પ્રયુક્તિઓ તરીકે પણ ઓળખાય છે.


સમાયોજન અને અનુકૂલન વચ્ચેનો તફાવત :

સામાન્ય વ્યવહારમાં એકબીજાના પર્યાય તરીકે વપરાતા હોવા છતાં તદ્દન વિભિન્ન ક્રિયા સૂચવનારા છે. 

અનુકૂલનનો અર્થ : પરિસ્થિતિ સાથે બંધબેસતા થવું,

સમાયોજનનો અર્થ : પોતાના અને પરિસ્થિતિ વચ્ચે સુમેળ સ્થપાય તેવો વ્યવહાર ઉપજાવવો. 

અનુકૂલન :

  • અનુકૂલન એ શારીરિક અસ્મિતા ટકાવી રાખવાના ઉદ્દેશ્યથી અપનાવાયેલી, પરિસ્થિતિને અનુરૂપ બનવાની પ્રક્રિયા છે.
  • પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની, ભૌતિક જગત સાથેની પ્રાણીઓની, વાતાવરણના દબાણોને “બંધબેસતા” થવાની આંતરક્રિયા સૂચવવા ડાર્વિને અનુકૂલન (Adeptation) શબ્દ પ્રયોજયો હતો. 
  • અનુકૂલન શબ્દથી શારીરિક અસ્મિતા માટેની આંતરક્રિયાત્મક પ્રક્રિયા સૂચવાય છે.
  • અનુકૂલન એ શરણાગતિની પરિસ્થિતિનો યથાવત્ સ્વીકાર કરી લેવાની ક્રિયા છે.
  • અનુકૂલનમાં “કોઈ પણ રીતે જીવતા રહેવું” એ જ માત્ર હેતુ હોય છે. 

સમાયોજન :

સમાયોજનનો ખ્યાલ મનોવિજ્ઞાનને જીવવિજ્ઞાનમાંથી અપનાવ્યો છે.

  • માનવીની “મનોવૈજ્ઞાનિક અસ્મિતા અને સંતોષ પ્રાપ્તિ” માટેની ભૌતિક ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ સાથેની આંતરક્રિયાત્મક પ્રક્રિયા સૂચવવા મનોવૈજ્ઞાનિકોએ “સમાયોજન” (Adjutment) શબ્દ પ્રયોજયો છે.
  • સમાયોજન એટલે સમ્ + આયોજન.
  • વ્યક્તિની જરૂરિયાતો અને તેમની તૃપ્તિ જે પરિબળ દ્વારા થઈ શકે તેમનું સમાનપણે આયોજન કરવું, 
  • સમાયોજનનો હેતુ તંગ પરિસ્થિતિમાંથી રાહત મેળવવા છે. સંતોષપ્રદ સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે. 
  • સમાયોજનની સમગ્ર પ્રક્રિયા વર્તે ઓછે અંશે સર્જનાત્મક, સુખહેતુક ધ્યેયગામી .


Heyne :

અનુકૂલન અને સમાયોજનનો ભેદ એક જ વાક્યમાં તારવતાં નોંધે છે :

“Adaptive acts contribute to survival.” While “Adjustive acts reduce tension." 

અનુકૂલન (સમાયોજન)ની વ્યાખ્યાઓ (Definition of Adjustment) :

અનુકૂલનની વિવિધ મનોવૈજ્ઞાનિકોએ અનેકવિધ વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કરેલ છે. જેમાંની અગત્યની વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું.

ગેટસ્ અને અન્ય :

અનુકૂલન એ એવી પ્રક્રિયા છે કે જે દ્વારા વ્યક્તિ પોતાની જાત અને વાતાવરણ વચ્ચે સુસંવાદી સંબંધ સ્થાપવાના હેતુથી પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે.

Gates & Others :

Adjustment is the process by which a person changes his behaviour to achieve a harmonious relation between himself & his environment. a


ભાટિયા :

અનુકૂલન એ વ્યક્તિની પરિસ્થિતિને જોવાની, તેના પ્રત્યે પ્રત્યાચાર આપવાની અને પોતાની મુખ્ય જરૂરિયાતો સંતોષવાની કે પોતાના જીવનના મુખ્ય પ્રશ્નો હલ કરવાની લાક્ષણિક જીવનદષ્ટિ છે. 


Bhatia :

Adjustment is the characteristic way in with the person perceives, reacts to and satisfies the major needs of his life or solves the main problems of his life. 


બોરિંગ લેંગફીલ્ડ :

સમાયોજન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની જરૂરિયાતો અને જરૂરિયાતોની તૃપ્તિ પર અસર કરનારાં સંજોગો વચ્ચે સમતુલા ટકાવે છે.


Boring Lengfiled :
Adjustment is the process by which a living organism maintains a balance between its needs and the circumstances that influence the satisfaction of those needs. 


કોલમેન :

સમાયોજન એ જરૂરિયાતો અને પરિસ્થિતિ વચ્ચે અસરકારક મેળ સાધવાની વ્યક્તિની મથામણનું પરિણામ છે. 

Coleman :

Adjustment is the outcome of the individual's efforts to deal with stress and meet his needs. 


લહેનર અને ક્યુબ :

વૈયક્તિક સમાયોજન એ આપણી જાત અને આપણી પરિસ્થિતિ વચ્ચેની આંતરક્રિયાત્મક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈએ છીએ અથવા તો તેને બદલીએ છીએ. સંતોષપ્રદ સમાયોજન આ આંતરક્રિયાત્મક પ્રક્રિયાની ક્લેશ વિહિનતા અને સફળતા સૂચવે છે.

Lehner & Cube :

Personal adjustment is a process of interaction between ourselves and our environments In this process we can either adapt to the environment or alter it satisfactory personal adjustment depends on successful interaction.

 

સમાયોજનની લાક્ષણિકતાઓ

અનુકૂલન અંગે રજૂ થયેલ વ્યાખ્યાની સમીક્ષાના આધારે અનુકૂલનના લક્ષણો તારવી શકાય છે. 

(1)અનુકૂલન એ અવરિત ચાલતી પ્રક્રિયા છે.

  • અનુકૂલનથી ક્રિયા પોતાનામાં, અન્યમાં અને વાતાવરણમાં થતા ફેરફારો સાથે મેળ બેસાડવાની ક્રિયા હોવાથી ક્યારેય પૂર્ણ થતી નથી.
  • સાંપ્રત યુગમાં માનવજીવન વધુ ને વધુ જટિલ બનતું હોવાથી, અસિમિત ભૌતિક પ્રગતિને કારણે, જીવનની પરિસ્થિતિ સતત બદલાતી રહે છે તેથી અનુકૂલનની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. 
  • સંજોગો અને પરિસ્થિતિ બદલાતાં જાય તેમ તેમ વ્યક્તિએ સભાનપણે પરિસ્થિતિ સાથે એકરૂપ થવા (બંધબેસતા થવા) અવિરત પ્રયત્ન ચાલુ રાખવા પડે છે. આમ, અનુકૂલન એ સતત ચાલતી પ્રક્રિયા છે.


(2) અનુકૂલન ઉર્ધ્વગામી ચક્રિય પ્રક્રિયા છે :

  • અનૂકૂલનમાં વ્યક્તિએ જ માત્ર વાતાવરણ સાથે અનુકૂળ થવાનું નથી. 
  • વાસ્તવમાં વ્યક્તિ સમાજ પર અસર કરે છે અને સમાજ વ્યક્તિ પર.
  • વાતાવરણની અસરથી વ્યક્તિ બદલાય છે. બદલાયેલી વ્યક્તિ વાતાવરણ પર અસર કરે છે. 


(3) સફળ અનુકૂલન માટે વ્યક્તિમાં સૂઝ અને આવડત જરૂરી છે :

  • વ્યક્તિ પોતાનામાં, વાતાવરણમાં અથવા બન્નેમાં ફેરફાર કરવાની પ્રક્રિયા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવિરતપણે કર્યા કરે છે.
  • આ પ્રક્રિયા સંતોષપ્રદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
  • આમ, સફળ અને સંતોષપ્રદ અનુકૂલન માટે વ્યક્તિમાં સૂઝ અને આવડત જરૂરી છે. 


(4) અસરકારક અનુકૂલન માટે ઉત્તમ માનસિક સ્વાસ્થ અને સુગ્રથિત વ્યક્તિત્વ હોવું અનિવાર્ય છે. 

  • દરેક માનવી જીવનની વિભિન્ન અવસ્થામાંથી પસાર થાય છે. .
  • દરેક અવસ્થાની જુદી જુદી અનુકૂલન સમસ્યાઓ હોય છે.
  • વ્યક્તિનું વ્યક્તિત્વ જેટલું સુગ્રથિત અને માનસિક સ્વાથ્ય જેટલું ઉત્તમ પ્રકારનું તેટલી તેની સર્વ પ્રકારની અનુકૂલન પ્રક્રિયાઓ અસરકારક નિવડે છે.


(5) સંપૂર્ણ, આદર્શ અને નિરપેક્ષ અનુકૂલની પ્રાપ્તિ અશક્ય છે :

  • સર્વસંપૂર્ણ અનુકૂલન વ્યવહારમાં અશક્ય છે.
  • વાસ્તવમાં દરેક માનવી સાપેક્ષ, સમાધાનકારક અનુકૂલન જ પ્રાપ્ત કરી શકે છે. 
  • સતત બદલાતી વ્યક્તિ પર્યાવરણ અને પરિસ્થિતિને કારણે જીવન દરમિયાન આદર્શ અને નિરપેક્ષ અનુકૂલન શક્ય નથી.


અનુકૂલનની પ્રક્રિયા (Process of Adjustment) :

અનૂકૂલન એક પ્રક્રિયા છે. અનુકૂલન પ્રક્રિયાના પૃથક્કરણ અનુસાર તેના પાંચ સોપાનો છે. 

અનુકલન પ્રક્રિયાના પાંચ સોપાનો :

  1. ઇચ્છાનો ઉદ્ભવ
  2. ઉદ્દીપકની હાજરીમાં સક્રિય થવું.
  3. લક્ષ્ય પસંદ કરવું.
  4. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધથી તાણ, હતાશા, વૈફલ્ય, ચિંતા ઉત્પન્ન થવા 
  5. વિકલ્પની પસંદગી.


(1) ઈચ્છાનો ઉદ્ભવ :

  • અનુકૂલનને વ્યક્તિની આવશ્યકતાઓ અને તેની પૂર્તિ સાથે સંબંધ છે. વ્યક્તિની ઇચ્છાપૂર્તિ અને જરૂરિયાતની પૂર્તિ થાય તો તે સાહજિક રીતે અનુકૂલન સાધી શકે છે.
  • અનુકૂલનની પ્રક્રિયાનો પ્રારંભ જરૂરિયાતમાંથી થાય છે.
  • અંત જરૂરિયાતના સંતોષથી થાય છે.

અબ્રાહમ મોસ્કોએ જરૂરિયાતની પાંચ શ્રેણીમાં ગોઠવણ કરેલ છે. 

મેસ્લોની જરૂરિયાતનો ક્રમ :

  • શારીરિક જરૂરિયાત
  • સલામતીની જરૂરિયાત
  • પ્રેમની જરૂરિયાત
  • પ્રતિષ્ઠાની જરૂરિયાત
  • આત્મસાર્થકતાની જરૂરિયાત

જરૂરિયાતોની પૂર્તિ દ્વારા સંતોષ ઉપજે છે અને તેનાથી વ્યક્તિ અનુકૂલન સાધી શકે છે. 

કેટલાક કેળવણીકારો દ્વારા થયેલ જરૂરિયાતનું વર્ગીકરણ :

શારીરિક જરૂરિયાતો : ભૂખ, તરસ, ઊંઘ, આરામ, જાતિયતા, વેદનાશમન, ઉષ્ણતામાન,

સાંવેગિક જરૂરિયાતો : પ્રેમ, કદર, સલામતી

સામાજિક જરૂરિયાતો : આત્મસાર્થકતા, આત્મસ્વિકૃતિ, સ્વતંત્રતા, સંવાદિતા, સુમેળ-સિદ્ધિ 

  • જરૂરિયાત ન સંતોષાય તો ઇરણ ઉદ્ભવે છે.
  • ઇરણ (અસંતોષથી ઉત્પન્ન થતી ઉત્તેજનાની સ્થિતિ) થી તાણ અને ચિંતા ઉદ્ભવે છે. 
  • જરૂરિયાત ન સંતોષાવાથી સંઘર્ષ અને તનાવ ઉદ્ભવે છે.

(2) ઉદ્દીપકની હાજરીમાં સક્રિય થવું :

જયારે જરૂરિયાતે ઇરણનું સ્વરૂપ ધારણ કરેલું હોય, તે સ્થિતિમાં, કોઈ ઉદ્દીપકની હાજરી વ્યક્તિને “ઇરણ નિવારણ માટે સક્રિય બનાવે છે.

ઉદાહરણ :

વ્યક્તિને ભૂખની જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે તાણ નિવારણ માટે વ્યક્તિ ખોરાક મેળવવા સક્રિય બને છે. 

(૩) લક્ષ્ય પસંદ કરવું?

    ઇરણની પરિસ્થિતિમાં સંઘર્ષ, તનાવ ઉત્પન્ન થાય છે. તનાવની પરિસ્થિતિ હળવી બનાવવા માટે અથવા તેમાંથી મુક્ત થવા માટે વ્યક્તિ યોગ્ય પ્રતિચાર કરે છે. વ્યક્તિ જે ઉદ્દીપકની હાજરીથી સક્રિય બને છે તેને જ પ્રાપ્તિ માટેનું લક્ષ્ય બનાવે છે. ઉપરોક્ત ઉદાહરણમાં “ખોરાક” એ ભૂખ્યા માનવીનું લક્ષ્ય બની જાય છે. 

(4) લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધ - તાણ, હતાશા, વૈફલ્ય અને ચિંતા ઉત્પન્ન કરે છે : 

  • ઇચ્છા “જરૂરિયાત” કોઈ પણ અવરોધ વિના સંતોષાય તેવું ભાગ્યે જ શક્ય બને છે. 
  • કાં તો અવરોધ દબાણ બાહ્ય પરિસ્થિતિમાં હોય અથવા તો વ્યક્તિની આંતરિક પ્રકૃતિમાં હોય ! 
  • વ્યક્તિની શારીરિક ઉણપો, અધૂરપ અને સામાજિક નિયંત્રણો અને નિષેધો અવરોધરૂપે કામ કરે છે. 
  • આ અવરોધો લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં અવરોધ ઊભા કરે છે.


(5) વિકલ્પની પસંદગી :

    વ્યક્તિ જયારે અવરોધનો અનુભવ કરે છે, ત્યારે તે સંજોગોમાં તેની સામે વૈકલ્પિક માર્ગોમાંથી કોઈ એકની પસંદગી કરે છે. 3

(1) સીધી લક્ષ્ય તરફ ગતિ : વ્યક્તિ પોતાની શક્તિ વધારી સીધી લક્ષ્ય તરફ ગતિ કરે છે. શક્તિ વધતાં મૂળ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રતિચાર શ્રેષ્ઠ અનુકૂલન દર્શાવે છે. વ્યક્તિને મૂળ લક્ષ્ય પ્રાપ્ત કર્યાનો સંતોષ થાય છે. 

(2) લક્ષ્યનું પુનઃ અર્થઘટન : શક્તિ વધારવાનું શક્ય ન હોય ત્યારે વ્યક્તિ આડકતરા માર્ગે મૂળલક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અહીં વ્યક્તિ લક્ષ્યનું પુનઃ અર્થઘટન કરી પ્રતિચારમાં નવસંસ્મરણ કરે છે. નવો માર્ગ વ્યક્તિ કે સમાજને લાંબા ગાળે અહિતકારક બને તેટલા અંશે અપાનુકૂલન બને છે.

(3) બીજા વૈકલ્પિક લક્ષ્યનો સ્વીકાર : જ્યારે વ્યક્તિ સીધી કે આડકતરા માર્ગે લક્ષ્ય સિદ્ધ કરી શકતી નથી ત્યારે તે તેના જેવા જ વૈકલ્પિ લક્ષ્યને સ્વીકારી, તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. અહીં વ્યક્તિ મૂળ લક્ષ્યને પ્રાપ્ત કર્યાનો સંતોષ અનુભવે છે. વારંવાર આ પરિસ્થિતિનું પુનરાવર્તન કરવાથી વ્યક્તિની પ્રગતિ સ્થગિત થઈ જાય છે. યૌક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ જન્મ લે છે. 

(4) લક્ષ્ય પ્રાપ્તિ અશક્ય : કેટલીક વાર લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધો આવે છે. આ અવરોધોને પાર કરવા વ્યક્તિ પ્રયત્ન કરે છે, છતાં લક્ષ્ય પ્રાપ્તિ અશક્ય બની જાય છે.

ઉદાહરણ :

પરીક્ષામાં વારંવાર નિષ્ફળ જનાર વ્યક્તિની શક્તિ વેડફાય છે. નિરાશા, હતાશા જન્મે છે. વ્યક્તિ સંપૂર્ણ અપાતુલિત બને છે.

(5) એકાંતવાસઃ મૂઢાવસ્થાની મનોવિકૃતિ જન્મે છે જયારે વ્યક્તિને મૂળ લક્ષ્ય કે વૈકલ્પિક લક્ષ્ય પ્રાપ્ત થતું નથી ત્યારે તે પ્રયત્નો કરવાનું, પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવાનું છોડી દે છે. આખી પરિસ્થિતિ તેના માનસિક ક્ષેત્ર બહાર જતી રહે છે. તેનાથી તાણ-ચિંતા નિવારણ થાય જ છે પરંતુ ! સંતોષ મળતો નથી. વ્યક્તિ પ્રરિસ્થિતિ સાથે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે. અંતે તેનામાં એકલવાયાપણું જન્મ છે. મૂઢાવસ્થા મનોવિકૃતિ પેદા થાય છે.

અનુકૂલનના અવરોધક પરિબળો :

અનુકૂલનના અવરોધક પરિબળો નીચે પ્રમાણે છે.

(1) વ્યક્તિગત મર્યાદા: શારીરિક ખોડખાંપણ, વિકલાંગતા, માનસિક પછાતપણું, મંદબુદ્ધિ જેવા અવરોધો. 

(2) પરિસ્થિતિજન્ય અવરોધોઃ સંઘર્ષોનો સામનો, સામાજિક પરિબળો, આર્થિક પછાતપણું, નૈતિક અવરોધો, સ્થાપિત મૂલ્યો સાથે સંઘર્ષો, કૌટુંબિક મર્યાદા, વિપરિત સંજોગો વ્યક્તિને લક્ષ્ય સિદ્ધિ સુધી પહોંચવા દેતી નથી. કુદરતી આફતો, જરૂરિયાતની પૂર્તિમાં અવરોધક બને છે. રાજકીય ઉથલપાથલ કે નીતિનિયમો ઇચ્છાપૂર્તિમાં અવરોધ કરે છે.

(3) પ્રેરણા સંઘર્ષ: વ્યક્તિની એક પ્રેરણાની બીજી પ્રેરણા સાથે સંઘર્ષ થાય છે. આ સમયે કઈ પ્રેરણાને પ્રાધાન્ય આપવું તેની મૂંઝવણમાં વ્યક્તિ મૂકાઈ જાય છે. આ સમયે સંઘર્ષનો સામનો વ્યક્તિએ કરવો પડે છે.


અનુકૂલિત વ્યક્તિનાં લક્ષણો :

    અનુકૂલન એ વ્યક્તિની વૈયક્તિક સિદ્ધિ છે. અનુકૂલન એટલે વ્યક્તિ પોતાને સોપાયેલા વિવિધ ક્ષેત્રોના કાર્યો વિવિધ સંજોગોમાં કેવી કાર્યક્ષમતાથી નિભાવે છે તે ! વ્યક્તિ પોતાની વ્યક્તિગત ફરજો સંતોષકારક રીતે બજાવતી હોય, સાથે સાથે સમાજની સામાજિક પ્રવૃત્તિઓ - સામાજિક સભાનતાની સાથે યોગ્ય રીતે કરતી હોય અને પોતાને સોંપાયેલ સામાજિક જવાબદારીનું યોગ્ય રીતે વહન કરતી હોય તો તે વ્યક્તિ સામાજિક અનુકૂલન ધરાવતી ગણાય !

    અનુકૂલન સાધેલી વ્યક્તિ “સંપૂર્ણ રીતે કેવી હશે” તેનો સર્વસામાન્ય માપદંડ નિશ્ચિત થઈ શકે તેમ નથી. કારણ કે વિવિધ સંજોગોમાં સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને નૈતિક ભિન્નતાઓ પ્રવર્તે છે. જુદી જુદી પેઢીઓ અને તેના વારસામાં પણ અંતર હોય છે. છતાં સર્વગ્રાહી રીતે વિચારતાં અનુકૂલિત વ્યક્તિના સર્વમાન્ય લક્ષણો નીચે પ્રમાણે છે.


અનુકૂલિત વ્યક્તિનાં મુખ્ય લક્ષણો :

અનુકૂલિત વ્યક્તિના મુખ્ય લક્ષણોને આ રીતે ચાર પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય.

  • શારીરિક સ્વાથ્ય
  • મનોવૈજ્ઞાનિક સંતુલન
  • કાર્યદક્ષતા
  • સામાજિક સ્વીકૃતિ
  • અન્ય લક્ષણો.

(1) શારીરિક સ્વાસ્થ :

  • અનુકૂલિત વ્યક્તિ સમન્વિત, સુગ્રથિત, સુશ્લિષ્ટ, વ્યક્તિત્વ ધરાવતી હોય છે. 
  • શરીર સુદઢ અને નિરામય હોય છે.
  • યોગ્ય આહાર-વિહાર ધરાવતી હોય છે.
  • મનોનિગ્રહી અને સંયમી હોય છે.
  • કોઈ પણ અસાધ્ય રોગથી પીડાતી નથી.
  • શારીરિક સ્વાસ્થની અસર ક્યારેક માનસિક સ્વાથ્ય પર અસર થાય છે. 
  • A healthy body is a healthy mind. 

(2) મનોવૈજ્ઞાનિક સંતુલન :

  • મનોવૈજ્ઞાનિક રીતે સમતુલન, એ અનુકૂલિત વ્યક્તિનું લક્ષણ છે.
  • લાગણી અને આવેગો પર સદા બુદ્ધિ અને વિચાર શક્તિનો પ્રભાવ પ્રવર્તતો હોય છે. 
  • શારીરિક સ્વસ્થતા ઉપરાંત માનસિક રીતે પણ સ્વસ્થ હોય છે.
  • માનસિક બિમારીનો ભોગ બનેલી હોતી નથી.
  • મન સર્વ પ્રકારની ગ્રંથિઓથી મુક્ત હોય છે.
  • હતાશા કે વૈફલ્યનો ભોગ બનેલી હોતી નથી. 
  • સમાજમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે.
  • દિવાસ્વપ્નોમાં રાચતી હોતી નથી.
  • લાગણીઓના જોરદાર પ્રવાહમાં પણ અડગ રહીને બુદ્ધિયુક્ત, તર્કયુક્ત વર્તન કરી શકે છે. 

(3) કાર્યક્ષમતા :

  • અનુકૂલિત વ્યક્તિ પોતાના વ્યાવસાયિક કૌશલ્યનો અને શક્તિઓનો ઉપયોગ મહત્તમ કરે છે અને સારી રીતે અનુકૂલન સાધેલ હોય છે.

(4) સામાજિક સ્વીકૃતિ :

  • અનુકૂલિત વ્યક્તિને સામાજિક સ્વીકૃતિ મળેલ હોય છે.
  • અનુકૂલિત વ્યક્તિ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ હોય છે.
  • તેમનું વર્તન વિચાર, વાણી, વર્તન સામાજિક જવાબદારીની સભાનતાથી નિતરતાં હોય છે.
  • તેઓ સામાજિક પરંપરાઓ, સામાજિક આચાર-વિચારો, સામાજિક માન્યતા, આદર્શો મૂલ્યોને અનુસરતા હોય છે.
  • તેઓ જીવનમાં શાંતિ, આંતરિક સ્થિરતા અને બાહ્ય કાર્યક્ષમતાવાળી હોય છે. 
  • વિવિધ માનસિક પરિબળો વચ્ચે એક પ્રકારનું સંતુલન ધરાવતી હોય છે. 
  • તેઓ સમાજમાં સારી રીતે અનુકૂલન સાધી શકે છે.

(5) અન્ય લક્ષણો :

  • સમાયોજિત વ્યક્તિ એક પ્રકારના ગૌરવ, યોગ્યતા અને સાર્થક્યનો ભાવ અનુભવતી હોય છે. 
  • જીવનનો અભિગમ ઉત્સાહભર્યો અને તંદુરસ્ત હોય છે.
  • કામ કરવાનો ઉમંગ ધરાવતી હોય છે.
  • નવરાશના સમયમાં આનંદ માણવાની ઇચ્છા ધરાવતી હોય છે.
  • અનુકૂલિત વ્યક્તિ પોતાની જાત વિશેનું અને પરિસ્થિતિ વિશેનું મૂલ્યાંકન વાસ્તવિક હોય છે. 
  • અનુકૂલિત વ્યક્તિને પોતાની શક્તિઓ અને મર્યાદાઓને સાચા અર્થમાં સ્વીકારે છે. 
  • આવી વ્યક્તિઓ પોતાની શક્તિઓ પ્રમાણે જ સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે. 
  • પુરૂષાર્થ કરવાની આંતરિક પ્રેરણા થતી હોય છે.
  • “સ્વાયત્તતા” તેનું આગવું લક્ષણ હોય છે. પોતાની ઇચ્છાઓ, વિચારો કે વર્તનની સમગ્ર જવાબદારી જાતે સ્વીકારવા તૈયાર હોય છે. પોતાના વિચાર-વર્તનનું સંચાલન પોતાની બુદ્ધિથી જ કરતી હોય છે.
  • મેરી જાહોડા (1858) બર્નાર્ડ (1961) શેફર્સ અને શાર્બન (1956) હાઉન્ટ્રાન્સ (1961) ક્રોનબે કે (1963)માં આલેખેલાં માનસિક સ્વાસ્થના લક્ષણો સાથે અનુકૂલિત વ્યક્તિના લક્ષણો ઘણાં મળતાં આવે છે. જે વ્યક્તિ જીવનના નાના-નાના વ્યાપારોમાં સુસમાયોજન સાથે છે તેનું સમગ્ર વ્યક્તિત્વ પણ સુસમાયોજિત બની રહે છે.

 અપાનુકૂલનનો શાબ્દિક અર્થ (Maladiusment) :

    અનુકૂલન એટલે વાતાવરણ સાથે સુસંવાદી સંબંધની સ્થાપના. અનુકૂલન શબ્દમાં ઉપસર્ગ “અપ” જોડાતા ‘અપાનુકૂલન” શબ્દ બને છે. ઉપસર્ગ “અપ”નો અર્થ થાય છે “વિરોધી”. આથી અપાનુકૂલન એટલે “અનુકૂલનની વિરોધી સ્થિતિ.” આથી જે વ્યક્તિ વાતાવરણ સાથે સુમેળ સ્થાપિત કરી શકતી નથી અને તેના પરિણામે જેનું વર્તન અસામાન્ય સ્વરૂપનું (Abnormal) છે તેવી વ્યક્તિને અપાનુકૂલિત કહે છે. 

અપાનુકૂલન સર્જતાં કારણો (પરિબળો) (Factors effect on Maladjustment) : 

ભૂમિકા :

    અપાનુકૂલન કોઈ એક પરિબળથી સર્જાતું નથી. અપાનુકૂલનના અનેક કારણો માનવામાં આવે છે. જે મુખ્યત્વે પર્યાવરણજન્ય હોય છે. તેની અસર વ્યક્તિ પર કેટલા પ્રમાણમાં થશે તેનો આધાર બાલ્યાવસ્થાથી હાલની ઉંમર સુધીના તેના વ્યક્તિત્વ વિકાસ પર રહે છે. અપાનુકૂલન થવાના પરિબળો (કારણો) નીચે પ્રમાણે છે. 

અપાનુકૂલનના કારણો :

  • તરૂણાવસ્થાની જરૂરિયાતોનો અસંતોષ
  • પર્યાવરણ
  • સમાજની અપેક્ષાઓ સામે નિષ્ફળ જવાનો ભય
  • લાંબો સાંવેગિક આઘાત
  • વ્યક્તિત્વ બંધારણ
  • વૈફલ્ય, સંઘર્ષ દબાણ
  • અસલામતી
  • આર્થિક, સામાજિક સ્તર
  • સ્વસંકલ્પના

(1) તરૂણાવસ્થાની જરૂરિયાતોનો અસંતોષ :

તરૂણાવસ્થાની વિશિષ્ટ જ જરૂરિયાતો ન સંતોષાતાં વ્યક્તિમાં અપાનુકૂલન જન્મે છે. તરૂણાવસ્થાની વિશિષ્ટ જરૂરિયાતો નીચે પ્રમાણે છે.

  • સ્વાતંત્ર્ય પ્રાપ્તિની અદમ્ય ઝંખના.
  • નિજગૌરવના સ્થાપનની જરૂરિયાત.
  • સમવયસ્કો તરફથી સ્વીકૃતિ:
  • દરેક પ્રકારના ક્ષેત્રોમાં નવીનતમ જ્ઞાન માટે જિજ્ઞાસાવૃત્તિ.
  • જવાબદારી ઉપાડવાની જરૂરિયાત-પોતાની ઓળખ ઉભી કરવા. » સ્વાયત્તતાની જરૂરિયાત.
  • વાંચનની જરૂરિયાત.
  • સહાનુભૂતિ અને માર્ગદર્શનની જરૂરિયાત.
  • જાતિય જરૂરિયાત.
  • શૈક્ષણિક વ્યાવસાયિક અંગત માર્ગદર્શનની જરૂરિયાત.

આ ઉંમરમાં ઉપરોક્ત જરૂરિયાતો ન સંતોષાતાં અપાનુકૂલન સર્જાય છે. 

(2) પર્યાવરણ :

વ્યક્તિનું ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક પર્યાવરણ તેનામાં અપાનુકૂલન સર્જે છે. 

(3) સમાજની અપેક્ષાઓ સામે નિષ્ફળજવાનો ભય :

તરૂણાવસ્થા દરમિયાન તરૂણો પર વર્તન સંબંધિત નીતિનિયમો અને દબાણ લાદવામાં આવે છે. તથા તેની પાસે જવાબદારીપૂર્વકના વર્તનની અપેક્ષાઓ રાખવામાં આવે છે. આ અપેક્ષાઓ સામે નિષ્ફળ જવાનો ભય અપાનુકૂલન તરફ દોરી જાય છે.

(4) લાંબો સાંવેગિક આઘાત :

સ્વજનના મૃત્યુનો આઘાત, શૈક્ષણિક, વ્યાવસાયિક નિષ્ફળતાઓ, ધંધામાં મોટી ખોટ જેવા લાંબા સાંગિક આઘાતોથી અપાનુકૂલન સર્જાય છે.

(5) વ્યક્તિત્વ બંધારણ :

સામાન્ય રીતે ત્રણ પ્રકારના વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિને અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડે છે. 

  • જડ વ્યક્તિત્વ : પોતાના વર્તનમાં આત્યાંતિકતા દાખવે છે.
  • સ્વકેન્દ્રિય વ્યક્તિત્વ : જે છે કે સમગ્ર જગત પોતાની આસપાસ ફરવું જોઈએ. 
  • આત્મગૌરવ વ્યક્તિત્વ : એવું વ્યક્તિત્વ જે પોતાને હંમેશાં સત્ય માને, બીજાનામાં દોષ જુએ.

(6) વૈફલ્ય, સંઘર્ષ, દબાણ :

    વ્યક્તિ જયારે પોતાની શારીરિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, પ્રેમની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત , આત્મસાર્થકતાની જરૂરિયાતો ન સંતોષાતા વૈફલ્ય - સંઘર્ષ અનુભવે છે. માનસિક તનાવ અને દબાણ અનુભવ છે. આ દબાણને પહોંચી ન શકતાં તેનામાં અપાનુકૂલન જન્મે છે. 

(7) અસલામતી :

    બાળકોમાં રહેલ અસલામતીની ભાવના તેનામાં અપાનુકૂલન જન્માવે છે. નાનપણમાં માતા-પિતાની છત્રછાયાં ગુમાવનાર, ભગ્ન લગ્નજીવનને કારણે કાં તો કેવળ માતા પાસે અથવા તો કેવળ પિતા પાસે ઉછરેલ બાળકોમાં અસલામતીની ભાવના સવિશેષ જોવા મળે છે. અપર-માતા પાસે ઉછરેલ બાળકો, અનાથાશ્રમમાં ઉછરેલ બાળકોમાં પણ અસલામતી જોવા મળે છે, પરિણામે અપાનુકૂલન સર્જાય છે.

(8) નિમ્ન આર્થિક - સામાજિક સ્તર :

વિવિધ સંશોધનોના નિષ્કર્ષો દર્શાવે છે કે નિમ્ન આર્થિક સામાજિક સ્તરમાંથી આવતાં બાળકો શાળાજીવન, પોતાની જાત, બીજા સાથેના સંબંધો, ઘર અને કુટુંબજીવન વગેરે ક્ષેત્રોના અપાનુકૂલિત જણાય છે. 

(9) સ્વ-સંકલ્પના :

નીચી સ્વસંકલ્પના ધરાવતાં બાળકો અપાનુકૂલિત જોવા મળ્યાં છે (કડકર 1967, પાઠક 1967, ખત્રી 1973, પરેશ 1974, ગોસ્વામી 1976) ગોસ્વામી 1978. 

(10) અન્ય પરિબળો :

આ ઉપરાંત અપાનુકૂલનના અન્ય પરિબળો આ પ્રમાણે છે.

(1) કુટુંબ અને કુટુંબ બહારના વધતા જતા સંઘર્ષો.
(2) ઝડપી સામાજિક પરિવર્તનો - અસલામતી જન્માવે છે.
(3) માનસિક ક્ષતિઓ.
(4) આત્મગૌરવનો અભાવ.
(5) સામાજિક મૂલ્યોનો જબરદસ્તીથી સ્વીકાર
(6) ગરીબી : ભિરૂતા – ચિંતા જન્માવે છે. : -
(7) વણસંતોષાયેલી મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો.

અપાનુકૂલિત વ્યક્તિનાં લક્ષણો :

    અનુકૂલન અને પરાનુકૂલન (Maladjustment) વચ્ચે તફાવત છે. વ્યક્તિ પોતાની આવશ્યકતાઓની પૂર્તિ ન કરી શકતાં તંગદિલી અનુભવે છે તે હતાશ થાય છે અને સંઘર્ષ કરે છે. જ્યારે તે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકતી. નથી ત્યારે તે વિપથગામી બને છે અને અપાનુકૂલિત બને છે. તે પોતાની જાત સાથે કે સમાજની વ્યક્તિઓ સાથે કે પરિસ્થિતિ સાથે સામજસ્ય સ્થાપી શકતી નથી. આવી વ્યક્તિઓ પરનુકૂલિત કહેવાય, પરાનુકૂલન વિવિધ પ્રકારનું અને વિવિધ પ્રમાણમાં હોય છે. હળવી બચાવ પ્રયુક્તિથી માંડીને ગંભીર માનસિક રોગો સુધી સર્વનો સમાવેશ થાય છે, તેથી સર્વ પ્રકારના વિષમાયોજનના સામાન્ય લક્ષણો તારવવાં મુશ્કેલ છે. કેટલાંક સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે છે.

ખાસ કરીને તરૂણાવસ્થાના તરૂણો અને તરૂણીઓ પોતાની ઇચ્છા પૂર્ણ ન થતાં પરાનુકૂલન સાથે છે, સમાજ સામે વિદ્રોહ કરે છે અને તેની કેટલીક વર્તન સમસ્યાઓ ઉભી થાય છે. વર્ગખંડમાં જો અધ્યાપક યોગ્ય નિરીક્ષણ કરે તો આવાં બાળકોને જુદાં તારવી શકે છે. પરાનુકૂલિત વ્યક્તિના લક્ષણોને વિભાજિત કરી શકાય છે. 

પરાનુકૂલિત વ્યક્તિના મુખ્ય ત્રણ લક્ષણો :

  • (1) શારીરિક લક્ષણો
  • (2) વર્તન દોષો
  • (3) સાંગિક લક્ષણો.


(1) શારીરિક લક્ષણો :

  • આવાં બાળકો બોલવામાં અચકાતાં હોય છે.
  • તોતડાપણું ધરાવતાં હોય છે.
  • ચહેરા પર વિકૃતિ જોવા મળે છે.
  • નખ કરડતાં જોવા મળે છે.
  • પગ વારંવાર હલાવતાં હોય છે.
  • બેચેનીમાં સરી પડતાં જોવા મળે છે.
  • વારંવાર ટચાકા ફોડતાં હોય છે.
  • વારંવાર ઉલટીઓ થાય છે.

વગેરે જેવાં શારીરિક લક્ષણો દષ્ટિગોચર થાય છે. 

વર્તનદોષો : 

  • આક્રમક સ્વભાવ ધરાવતાં હોય છે.
  • વાત-વાતમાં મારામારી કરવા માંડે છે.
  • જૂઠું બોલવાની ટેવ ધરાવતાં હોય છે.
  • અભ્યાસ તરફ બેદરકાર હોય છે.
  • જાતિય છેડછાડ કરતાં જોવા મળે છે 

સાંવેગિક લક્ષણો :

  • વધારે પડતાં ચિંતાગ્રસ્ત રહેવું.
  • ડર લાગ્યા કરતો હોય.
  • વારંવાર ભયભીત થવું.
  • લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે.
  • વધુ પડતું બિકણપણું જોવા મળે
  • વારંવાર ગુસ્સે થતા જોવા મળે છે.
  • સંઘર્ષ (ઉછીના ઝગડા) વોરી લે છે.
  • સતત માનસિક તાણ અનુભવતા હોય છે.

અન્ય લક્ષણો :

(1) પરાનુકૂલિત વ્યક્તિ પોતાની જાતનું સાચું, પરલક્ષી અને વાસ્તવિક મૂલ્યાંકન કરી શકતી નથી. 
(2) પરાનુકૂલિત વ્યક્તિ આત્મવંચનાનો ભોગ બનેલી હોય છે.
(3) તેનું વ્યક્તિત્વ અનેક વિસંવાદિત પરિબળોમાં વિચ્છીન્ન થઈ ગયેલું હોય છે. 
(4) સતત આંતરિક સંઘર્ષ અને તાણ અનુભવતી જોવા મળે છે. 
(5) તેની અજાગૃત ઇચ્છાઓ અને જાગૃત આદર્શો વચ્ચે સંઘર્ષ ચાલતો હોય છે. 
(6) સંકલ્પબળ ઓછું હોય છે. તેથી હાનિકારક વર્તન રોકી શકતી નથી. 
(7) પરાનુકૂલિત વ્યક્તિનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક ખોરવાઈ જાય છે. 
(8) વિષમાયોજિત વ્યક્તિ જીવનથી હારેલી, થાકેલી અને નિરાશ જોવા મળે છે. 
(9) તેના જીવનનો અભિગમ નિરાશામય અને નકારાત્મક (Negative) હોય છે.
(10) અસંતોષની આગમાં હંમેશાં બળ્યા કરતી હોય છે. 
(11) જીવન-વ્યવહારમાં પણ અકાર્યક્ષમ પૂરવાર થાય છે. 
(12) વૈફલ્ય અને વ્યર્થતા જ તેના હૃદયના સ્થાયીભાવો છે. 
(13) નિરાશા સહન કરવાની શક્તિ નહિવત્ હોય છે. 
(14) મુશ્કેલીઓ આવતાં ભાગી પડે છે. 
(15) તેમના વિચાર-વાણી, વર્તનથી સમાજ માટે સમસ્યા પેદા થાય છે.
(16) સમાજને આપવા જેવું તેની પાસે ભાગ્યે જ કશું હોય છે. 

બાળકોના (સમાયોજન) અનુકૂલનમાં શિક્ષકનો ફાળો :

(Teacher's role in children's Adjustment) 

ભૂમિકા :

    શાળામાં આવતા બાળકોને અનુકૂલિત કરવામાં શિક્ષક મહત્ત્વનો ફાળો આપી શકે છે. શાળાના બાળકોના માનસિક સ્વાચ્ય બનાવી રાખવા અને તેની ઉન્નતિ માટે નીચેની બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. 

(1) પ્રેમભર્યો વ્યવહાર (Afectionate Behaviour) :

    બાળકોના અનુકૂલન અને માનસિક સ્વાથ્ય માટે શિક્ષકનો પ્રેમભર્યો વ્યવહાર પાયાની અને મહત્ત્વપૂર્ણ બાબત છે. પ્રેમપૂર્ણ વ્યવહારથી જ વિદ્યાર્થી શિક્ષકના આદેશને શીરોમાન્ય ગણશે અને શિક્ષકનો આદર કરશે. શિક્ષકે વર્ગના, શાળાના તમામ વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર આચરવો જોઈએ. શિક્ષકનો પક્ષપાત કે ભેદભાવ વિદ્યાર્થીના હૃદયને આઘાત પહોંચાડે છે.


(2) શિસ્ત (Discipline) :

    શાળાની શિસ્ત વિદ્યાર્થીના માનસિક સ્વાથ્ય પર મહત્ત્વની અસર પાડે છે. પરંતુ શિસ્ત કદાપિ વધારે પડતી કડક ન હોવી જોઈએ. કડક શિસ્તથી વિદ્યાર્થીની માનસિક અર વધે છે. સ્વયંશિસ્ત એ આદર્શ શિસ્ત છે. નિયમ-પાલનની ભાવના વિકસાવવી જોઈએ. વર્ગપ્રતિનિધિ પણ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટાયેલા હોવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓમાં ઉત્તરદાયિત્વની ભાવના વિકસે.

(3) સંતુલિત અભ્યાસક્રમ :

    શાળાનો અભ્યાસક્રમ એવો હોવો જોઈએ જેથી વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વ પાસાંઓનો સ્વસ્થ વિકાસ થાય. જે અભ્યાસક્રમના અધ્યયન પછી વિદ્યાર્થીમાં આવશ્યક જ્ઞાન વિકસે અને બિનજરૂરી મગજ પર બોજ ન પડે ! સહાભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ સર્વાગી વિકાસ સાધી શકાય છે.

(4) સંતુલિત ગૃહકાર્ય (Balanced Home Assignment) :

    વિદ્યાર્થીઓનો વધુ પડતું ગૃહકાર્ય આપવાથી વિદ્યાર્થીમાં માનસિક તનાવ, ચિંતા ઉદ્દભવે છે. અન્ય કૌશલ્ય વિકાસની ક્ષિતિજો બંધ થઈ જાય છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જ વિકસે છે. સર્વાગી વિકાસની જગ્યાએ “વધુ પડતું ગૃહકાર્ય” એકાંકી વિકાસ જ શક્ય બને છે તેટલું જ નહીં, વિદ્યાર્થી માનસિક રીતે અસ્વસ્થ બને છે અને અનુકૂલન સાધી શકતો નથી. તેથી “ભાર વગરના ભણતર”ની સંકલ્પના સાકાર થાય તેટલું જ ગૃહકાર્ય અપાવું જોઈએ. 

(5) રમતગમત અને મનોરંજન (Play and Recreation) :

    વિદ્યાર્થીઓમાં દમિત ઇચ્છાઓ માનસિક અસ્વસ્થતા પેદા કરે છે. દમિત પ્રેરણાની સ્વસ્થ અભિવ્યક્તિની તક શાળા અને શિક્ષકો પૂરી પાડવી જોઈએ. આ તક રમતગમત અને નાના-મોટા મનોરંજન કાર્યક્રમો દ્વારા આપી શકાય છે. રમત અને મનોરંજન વિરેચનનું કાર્ય કરે છે. જેથી વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ રહે છે અને અનુકૂલિત બને છે.

(6) શૈક્ષણિક માર્ગદર્શન (Educational Guidance) :

    વિદ્યાર્થીઓના માનસિક સ્વાચ્ય અને અનુકૂલિત વર્તન માટે તેને તેની યોગ્યતા અનુસાર શાળા, અભ્યાસક્રમ, વિષયો, સહાભ્યાસિક પ્રવૃત્તિઓની પસંદગી કરવામાં શૈક્ષણિક માર્ગદર્શન ખૂબ જરૂરી છે. શિક્ષણપ્રવાહની, વિષયોની પસંદગી અને શૈક્ષણિક સમસ્યાઓ દૂર કરવા માટે અપાતું માર્ગદર્શન “શૈક્ષણિક માર્ગદર્શન' કહેવામાં આવે છે. 

(7) વ્યાવસાયિક માર્ગદર્શન (Vocational Guidance) :

    દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ થયે વ્યવસાય મેળવવાની ચિંતા થાય છે. વ્યવસાય પસંદ કરવામાં, તેની તૈયારી કરવામાં, તેમાં પ્રગતિ કરી, સફળતા મેળવવા માટે અપાતું માર્ગદર્શન તે “વ્યાવસાયિક માર્ગદર્શન" છે. વ્યક્તિની બુદ્ધિ, રસ, અભિયોગ્યતા અને અભિરૂચિને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવસાયની પસંદગી કરવામાં સહાયભૂત થવાથી વ્યક્તિ જીવનમાં સુખેથી, શાંતિથી અને સંતોષપ્રદ રીતે જીવન જીવ્યાનો સંતોષ મેળવી શકે છે. જીવનભર અનુકૂલિત બની શકે છે.

(8) વ્યક્તિગત માર્ગદર્શન (Personal Guidance) :

    વિદ્યાર્થીઓ પોતે પોતાની સમસ્યાઓ પોતે ઉકેલી શકતા નથી ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે તેને વિશેષ માર્ગદર્શનની જરૂર પડે છે. ખાસ કરીને “તરૂણાવસ્થા એ ઝંઝાવાતોની કાળ છે.” જીવનનો સંક્રાન્તિ કાળ છે. આ અવસ્થાની જરૂરિયાતો વિશિષ્ટ પ્રકારની હોય છે. આ જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાય તે માટે વ્યક્તિગત માર્ગદર્શન જરૂરી છે. જેનાથી અનુકૂલન સરળતાથી સાધી શકે છે.

(9) જાતિય શિક્ષણ (Sex Education) :

કિશોરાવસ્થા - તરૂણાવસ્થામાં “વિજાતિય આકર્ષણ” ઉદ્ભવે છે. જાતિય જરૂરિયાત કારણે કાં તો નૈતિક અધ:પતન માર્ગ અપનાવે અથવા તો તેનું દમન કરે, જેનાથી માનસિક અસ્વસ્થતા ઉદ્ભવે છે. શિક્ષકે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓ દ્વારા તરૂણોમાંથી જાતિય સંબંધી કુટેવો દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. આ મારો શ્રેષ્ઠ ઉપાય છે “જાતીય શિક્ષણ” આપવાનો. જેના દ્વારા જાતિય પ્રવૃત્તિ તરફ સ્વસ્થ દષ્ટિકોણ વિકસાવી શકાય અને જાતિય કુટેવોથી બચાવી શકાય. જેના દ્વારા શારીરિક, માનસિક, સાંવેગિક વિકાસને સહાયના મળશે. જેના દ્વારા ભવિષ્યમાં સર્વાગી-સંપૂર્ણ વિકસિત સ્ત્રી-પુરૂષ બને છે.

(10) સુટેવોનું સર્જન (Formation of Good Habits) :

    માનસિક સ્વાથ્ય સુટેવો પર નિર્ભર છે. શિક્ષકે વિદ્યાર્થીમાં નિયમિત જીવન, સંતુલિત વ્યાયામ-આનપાન, ઉત્તમ વ્યવહાર અને ઉચ્ચ વિચારો – વાંચનની સુટેવો સર્જવા સહાય કરવી જોઈએ. સુટેવો દ્વારા વ્યક્તિ સમાજમાં સ્વીકાર્ય - માનનીય બને છે. અનુકૂલિત જીવન જીવી શકે છે. 

ઉપસંહાર :

શિક્ષણનું ધ્યેય બાળકોના સર્વાગી વિકાસનું છે. શિક્ષકનું કાર્ય ધ્યેયને સાકાર કરવાનું છે. આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાના વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ સાધવા શિક્ષકોએ પ્રાણ રેડીને, નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી અને પ્રેમપૂર્વક પોતાની ફરજ બજાવવી પડશે. પોતાના વિદ્યાર્થીઓનું માનસિક સ્વાથ્ય જાળવવા, તેનું જીવન અનુકૂલિત બનાવવા અને સિદ્ધિના શિખરો સર કરાવવા ભગીરથ પ્રયત્નો કરવા પડશે.

શિક્ષક ધારે તો...

સદ્ગુણો અને સુટેવોનો સર્જક

સંસ્કૃતિ અને સમાયોજનનો સંવર્ધક

ઉત્તમ આચારસંહિતાનો પ્રેરક

અને ! માણસાઈના દુષ્કાળનો નિવારક બની શકે છે.






About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.